Sunday, March 26, 2017

સચિન દેવ બર્મન અને હેમંતકુમાર




સીધા સાદા અંકડાની દૃષ્ટિએ સચિન દેવ બર્મન અને હેમંત કુમારનું સાયુજ્ય પ્રભાવશાળી નહીં લાગે. ૮ ફિલ્મોમાં કુલ મળીને ૧૦ સૉલો, ૩ યુગલ ગીત અને એક યુગલ+ ગીત એમ (માત્ર) ૧૪ જ ગીતો સચિન દેવ બર્મને હેમંત કુમાર પાસે ગવડાવ્યાં છે.એક ગીતને બાદ કરતાં બધાં જ ગીતો પર્દા પર દેવ આનંદે ગાયાં છે.જે સમયનાં આ ગીતો છે તે સમયે સચિન દેવ બર્મને દેવ આનંદના પરદા પછળના અવાજ તરીકે માત્ર હેમંત કુમારના જ અવાજ પર આધાર રાખ્યો હતો, એમ પણ નથી. સચિન દેવ બર્મનનાં હેમંત કુમારનાં ગીતોની ખૂબી(ઓ) આ બધામાં ક્યાંકને ક્યાંક વણાયેલ છે. અને કદાચ એટલે જ સચિન દેવ બર્મનનાં હેમંત કુમારના સ્વરમાં ગવડાવેલાં એકોએક ગીત આજે પણ ચાહકોની જુબાન પર છે.
આ ગુપચુપ ગુપચુપ પ્યાર કરેં, ચુપ છુપ આંખે ચાર કરેં - સઝા (૧૯૫૧) -સંધ્યા મુખર્જી સાથે - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ
એ સમયમાં સચિન દેવ બર્મનના રેકર્ડીંગ રૂમનું સંચાલન મન્ના ડે કરતા હતા. એક ઈન્ટરવ્યુમાં હેમંત કુમારે યાદ કરતાં જણાવ્યું કે મન્ના (ડે)નો ફોન આવ્યો કે આવી જાઓ. સચિન બાબુ તમારૂં ગીત રેકર્ડ કરવા માગે છે. હેમંત કુમારને તે સમયે ખબર હતી કે સચિનબાબુ આ રીતે એકાદ બે રીહર્સલમાં ગીતની ધુન સાથે ગાયકનો અવાજ બંધ બેસે છે કે નહીં તે જૂએ અને જો ઠીક લાગે તો જ ગીત રેકર્ડ થાય. પ્રસ્તુત ગીતમાં પણ થોડાં રીહર્સલ થયાં, પણ ગીત તો હેમંત કુમાર અને સંધ્યા મુખર્જીના સ્વરોમાં જ રેકર્ડ થયું.
ગીતની પહેલાં એક પ્રલંબ પ્રીલ્યુડ છે જેમાં વિવિધ વાદ્યો અને સમૂહ ગાયકોના સ્વરની ગુંથણીથી નાયિકાની 'ચાલુ કરો સંગીતકા રાસ્તા'ની સ્વપ્નમય સૈર વણી લેવાઈ છે. પ્રીલ્યુડના અંતમાં દૂરથી ગાડાંઓમાં જઈ રહેલાં પ્રવાસીઓ દ્વારા ગવાતાં લોકગીતના સ્વરો સાંભળવા મળે છે, જેમાંથી નાયિકા અને નાયકના હોઠો પર પણ આ ગીત સ્ફુરી પડે છે.
યે રાત યે ચાંદની ફિર કહાં સુન જા દિલકી દાસ્તાં - જાલ (૧૯૫૨)- ગીતકાર સાહિર લુધ્યાનવી
સચિન-સાહિરની કેમીસ્ટ્રીનું એક નમૂનેદાર સંયોજન કહી શકાય તેવું આ ગીત, તેના શબ્દો, ગિટારનો મધુર સાથ અને હેમંત કુમારના સ્વરમાં ગવાયેલા આલાપના ટુકડાઓને કારણે એક અદ્‍ભૂત ગીત બની રહ્યું છે.
નાયક નાયિકાને પ્રેમાગ્રહપૂર્વક પોતાના દિલના અવાજને સાંભળીને તેમાં છૂપાઈ બેઠેલા પ્રણયના કોલને જગાડવાનું ઈજન આપે છે.
આ ગીતનાં બીજાં યુગલ વર્ઝનમાં નાયિકા એ રાત એ ચાંદનીને અને તેના પ્રેમીના પુકારને યાદ કરે છે.  
તેરી દુનિયામેં જીને સે તો બહેતર હૈ કે મર જાયેં, વોહી આંસૂ, વોહી આહેં, વોહી ગમ હૈ જિધર જાયેં - હાઉસ નં. ૪૪ (૧૯૫૫) - ગીતકાર સાહિર લુધ્યાનવી
સાહિરના શબ્દોને ગીતના વિડીયો સિવાય સાંભળીએ તો આ દુનિયામાં દરેક ઠેકાણે ભર્યા પડેલાં દુઃખોની સામેની ફરિયાદનો સૂર નીકળે. પરંતુ ગીતની વિડીયો ક્લિપ જોતાં ગીતનો પરિપ્રેક્ષ્ય બદલી જાય છે.
ગીતની શરૂઆતમાં નાયિકા બારીમાંથી પોતાના ઘરમાં કંઈક કામ કરતી  દેખાય છે. તેને જોઈને પોતાના નાનકડા સાથી સાથે પાઈપમાં રહેતા નાયકને પોતાની દુનિયાનાં દુઃખોની યાદ આવે છે. કદાચ નાયિકાનાં દર્શનને કારણે તેનો સુર ફરિયાદનો નહી પણ કડવી યાદોને મીઠી ગોળી ગણીને મમળાવવાનો બની રહે છે. ગીતના અંતમાં બારીમાંથી ફરી જોવા મળતું નાયિકાના ચહેરાપરનું સ્મિત મોના લિસાનાં સ્મિતની યાદ કરાવી જાય છે....
ચૂપ હૈ ધરતી ચુપ હૈ ચાંદ સિતારે મેરે દિલકી ધડકન તુઝકો પુકારે - હાઉસ નં. ૪૪ (૧૯૫૫)- ગીતકાર સાહિર લુધ્યાનવી
નાયક રાતની ચુપકીદીમાં, ખોવાયેલાં મસ્ત મસ્ત દૃશ્યોમાં નીખરી રહેલાં ચાંદનાં જોબનમાં, પોતાના બન્ને હાથ ફેલાવીને, અનુભવાતી પોતાની હસ્તીમાં પોતાના ડૂબતાના સહારાની ખોજ કરે છે.
સાહિરની કવિતાઓના પ્રમાણમાં બહુ સરળ શબ્દોમાં કહેવાયેલી બહુ ગૂઢ વાત સચિન દેવ બર્મને, હેમંત કુમારના સ્વરમાં, એક અનોખી, સદા દિલઝંકૃત કરતી, ધૂનમાં મૂર્ત કરી છે.
પીછે પીછે આ કર છૂ લો હમેં પા કર છૂપ છૂપ જાના હો - હાઉસ નં. ૪૪ - લતા મંગેશાકર સાથે - ગીતકાર સાહિર લુધ્યાનવી
આમ તો આ ગણાય યુગલ ગીત, પરંતુ હેમંત કુમારને ભાગે એકાદ પંક્તિ અને બાકી આલાપનો સાથ દેવાનું જ આવ્યું છે. ગીતનું સંયોજન એવું ચુસ્તપણે કરાયું છે કે હેમંત કુમારની ભૂમિકા પુરક બની રહેવાને બદલે ગીતને એક અલગ અર્થ આપી રહે છે.
ઓ શિવજી બિહાને ચલે પાલકી સજાય કે - મુનિમજી (૧૯૫૫) – ગીતકાર: શૈલેન્દ્ર
(રતનબાબુના) જન્મદિવસ ની ઉજવણીના ભાગ રૂપે સ્ટેજપર એક અનોખી નૃત્યનાટિકાનું મંચન થઈ રહ્યું છે. તેના સંચાલક તરીકે નાયક આધુનિક વિદુષકની ભૂમિકામાં છે. ગીતના પરિચય વખતે જ નાયક પ્રેક્ષકગણમાં બેઠેલી સુંદર યુવતીને ઈશારો કરી દે છે કે દાઢીમૂછમાં આવેલ લાગતો કોઈ પણ ભભૂત ન જાણે ક્યાંક તમારો શિવજી હોય ! ગીતને અનુ રૂપ તાલ વાદ્ય તરીકે ડમરૂનો પ્રયોગ ગીતનાં વાતાવરણનેને હળવું કરવામાં પણ ભૂમિકા ભજવે છે. અત્યાર સુધી ગંભીર ભાવનાં ગીતોમાં સાંભળેલો હેમંત કુમારનો સ્વર આ ગીતની હળવાશમાં પણ એટલોજ સ્વાભાવિક બની રહ્યો છે.
દિલકી ઉમેંગે હૈ જવાં રંગમેં ડૂબા હૈ શમા મૈને તૂમ્હે જીત લિયા હાર્કે દોનોં જહાં - મુનિમજી (૧૯૫૫) - ગીતા દત્ત અને પ્રાણ સાથે – ગીતકાર: શૈલેન્દ્ર
હેમંત કુમારે એક ઇન્ટર્વ્યુમાં યાદ કર્યા મુજબ સચિન દેવ બર્મને તેમની પાસે ફોન પર આ ફિલ્મનું, બહુ મશહૂર, ગીત 'જીવનકે સફરમેં રાહી' પણ ગવડાવીને ચકાસી જોયું હતું.
મજાની વાત એ છે કે અંતમાં હેમંત કુમાર પાસે જે બે ગીત ગવડાવ્યાં તે બંને સાવ જ હળવા ભાવનાં ગીતો છે. તેમાં પણ પ્રસ્તુત ગીતમાં તો નાયક અને નાયિકા ડાહ્યાં ડમરાં દેખાઈને કબાબમાં આવી ગયેલી હડ્ડીની સીધી સીધી ખીલ્લી જ ઉડાડે છે. ગીતા દત્ત તો આ પ્રકારના ભાવને બહુ આસાનીથી રજૂ કરે પરંતુ મંદ મંદ મુસ્કી દ્વારા ઠાઠથી મશ્કરી કરી લેવામાં હેમંત કુમાર પણ પાછળ નથી રહી ગયા ! ખરેખરા બેસૂરા થવામાં પ્રાણનો અવાજ જેટલો સફળ નીવડ્યો છે તેટલો જ આ મશ્કરીને હસતે મોઢે સહી લેવાનો તેમનો અભિનય પણ સફળ રહ્યો છે.  ફિલ્મમાં તેઓ વિલન છે તે પણ બે ઘડી માટે ભૂલી જવાય !  

આડવાત
લગભગ આ પ્રકારની જ રીતની ખીલ્લી ઉડાડતું ગીત - યે મર્દ બડે દિલ સર્દ બડે બેદર્દ ન ધોખા ખાના -  હેમંત કુમારે જ, મૂળ તેલુગુ અને તમિળમાં બનેલ ફિલ્મ 'મિસ અમ્મા' પરથી હિંદીમાં બનેલી 'મિસ મેરી' (૧૯૫૭)માં, તર્જબધ્ધ કરેલ છે.  ગીતનાં સામાં વર્ઝનમાં મર્દે જવાબ પણ વાળ્યો છે.

હૈ અપના દિલ તો આવારા ન જાને કિસપે આયેગા - સોલવા સાલ (૧૯૫૮) – ગીતકાર: મજરૂહ સુલતાનપુરી
લોકલ ટ્રેનના ડબ્બામાં યુવાનીની દિલફેંક મસ્તીને રજૂ કરતાં ગીતને હેમંત કુમારે પૂરાં દિલથી ગયું છે. આ મસ્તી યુવાનીનાં ખુલ્લાં દિલની છે, મસ્તીથી જીવન જીવી જવાની છે. જોકે બાજૂની સીટમાં બેઠેલી નાયિકા બંધ બેસતી પાઘડી પહેરી લેતી હોય એમ જણાય છે.
એક નાની પણ, પણ મહત્વની વાત એ કે, ગીતમાં હાર્મોનિકા કિશોર રાહુલ દેવ બર્મને (ફિલ્મોમાં પહેલી જ વાર) વગાડેલ છે.
ગીતનાં બીજાં કરૂણ ભાવનાં વર્ઝનમાં હેમંત કુમારનો અવાજ ગ઼મગીનીથી ભીનો અનુભવાય છે.
યાદ આ ગયી વો નશીલી નિગાહેં, યારોં  થામ લેના થામ લેના મેરી બાહેં - મંઝિલ (૧૯૬૦) ગીતકાર: મજરૂહ સુલતાનપુરી
નાયક વડે શરૂ કરાયેલ પિયાનો પરની તર્જને સાંભળીને નાયિકા દોડી દોડી આવે છે. નાયક ખુશી ખુશી માંડ પહેલી પંક્તિ ગાઈને નાયિકાને હવે પોતાનો હાથ થામવાનો પ્રસ્તાવ મૂકે ત્યાં દાળમાં કાંકરા હેવાં કેટલાં સ્વજનો આવી ચડે છે અને નાયિકા તેમના તરફ જતી રહે છે. (@.૪૧) આમ જે વાત કહી ન શકાઇ તેનાં કદાચ તેનાં પરિણામરૂપે એ પછી જે ગીતનું મૂળ વર્ઝન છે તેમાં નાયક નશામાં છે. હેમંત કુમારના અવાજમાં પણ નશો ઘુંટાય છે. 
નાયક અને નાયિકા ફરીથી છૂટાં પડી ગયાં હશે. એ છૂટાં પડવાની પીડા અહીં ચિત્રિત કરવામાં આવી છે. પીડા બન્ને પક્ષે છે. એક કહીને વ્યક્ત કરે છે બીજું મનમાંને મનમાં ઘુંટાય છે, એ દર્દ જાહેરમાં વ્યક્ત કરવા માટે જે મર્યાદા પાળવી પડે તે પાળીને......
ન તુમ હમેં જાનો ન ન હમ તુમ્હે જાને મગર લગતા હૈ મેરા હમદમ મિલ ગયા - બાત એક રાતકી (૧૯૬૨) - ગીતકાર મજરૂહ સુલતાનપુરી
ગીતની શરૂઆત ફરી એક વાર નાનકડા આલાપ અને મુખડાની પંક્તિના વચ્ચેના શબ્દો -મગર લગતા હૈ કુછ ઐસા- થી થાય છે. બસ, આટલા સરખા જ ફરકને કારણે ગીતનો ભાવ પહેલી જ પંક્તિમાં પૂર્ણપણે વ્યક્ત થઈ રહે છે.
ફિલ્મમાં સુમન કલ્યાણપુરનું વર્ઝન પહેલાં આવી ગયું હોય છે. એ જ ગીતને ગાઈને નાયક નાયિકાની લાગણીઓને જાગૃત કરવા માટે એ ગીત ફરીથી ગાય છે. એ માટે ગાયનમાં જે માર્દવ હોવું જોઈએ તે હેમંત કુમારના સ્વરમાં બહુ જ સ્વાભાવિકપણે વ્યક્ત થાય છે.

સચિન દેવ બર્મન અને હેમંત્કુમારના દેવ આનંદ માટેના ૭ ફિલ્મોનાં ૭ સૉલો (બે ગીતનાં બે વર્ઝન સાથે ૯ સૉલો), ત્રણ યુગલ ગીતો અને એક યુગલ+ ગીતના સાથની આ ગીત છેલ્લી કડી બની રહી.
એ દરમ્યાન ૧૯૫૭ની 'પ્યાસા'માં પણ સચિન દેવ બર્મને ગુરુદત્ત માટે હેમંત્કુમારનાં પાર્શ્વગાયનનો બહુ સચોટ ઉપયોગ કર્યો હતો.
જાને વો કૈસે લોગ થે જિનકે પ્યારકો  પ્યાર મિલા, હમને તો કલીયાં મંગીથી કાંટોકા હાર મિલા - ગીતકાર સાહિર લુધ્યાનવી
'પ્યાસા'માં ગુરુદત્તે પરદા પર ભજવેલ શાયરીઓ, ખૂબ જ મસ્તી ભર્યું યુગલ ગીત અને જીવનની નગ્ન વાસ્તવિકતાઓએ પેદા કરેલી હતાશાને વાચા આપતાં બે ગીતો મોહમ્મદ રફીના સ્વરમાં છે. પરંતુ યુવાન કવિના પ્રેમભગ્ન હૃદયની કસકને વાચા આપવા માટે સચિન દેવ બર્મને હેમંત કુમાર પર પસંદગી ઉતારી હતી.

પૂરક વાત:
સચિન દેવ બર્મને હેમંત કુમારના સ્વરનો દેવ આનંદ માટે કરેલો પ્રયોગ એટલી હદે સફળ થયો હતો કે બીજા સંગીતકારોએ પણ એ સમયમાં દેવ આનંદ માટે હેમંત કુમારના સ્વરમાં બહુ યાદગાર ગીતો બનાવ્યાં.

યાદ કિયા દિલને કહાં હો તુમ ઝૂમતી બહાર હૈ કહાં હો તુમ - પતિતા (૧૯૫૩) - લતા મંગેશકર સાથે - સંગીત શંકર જયકિશન - ગીતકાર હસરત જયપુરી

દેવ આનંદે પરદા પર ગાયેલાં 'પતિતા'નાં ત્રણ સૉલો ગીતો તલત મહમૂદના સ્વરમાં છે. આ યુગલ ગીત હિંદી ફિલ્મનાં યુગલ ગીતોમાં સર્વકાલીન શ્રેષ્ઠ ગીતોમાં સ્થાન મેળવી ચૂક્યું છે.

યે બહારોં કા સમા, ચાંદ તારોં કા સમા, ખો ન જાયે આ ભી જા યે બહારોં કા સમા - મિલાપ (૧૯૫૫) - લતા મંગેશકરનાં બીજાં વર્ઝન સાથે - સંગીતકાર એન દત્તા - ગીતકાર સાહિર લુધ્યાનવી

આ ફિલ્મ સંગીતકાર એન દત્તાની સૌથી પહેલવહેલી ફિલ્મ છે. એક જગ્યાએ એમ નોંધ જોવા મળે છે કે કોઈક કારણોસર હેમંતકુમારવાળું વર્ઝન ફિલ્મમાં સમાવાઈ શકાયું નહોતું, જેને માટે ફિલ્મના ગિગ્દર્શક હંમેશાં અફસોસ અનુભવતા રહ્યા.

ઓ માજી રે નાવ બઢા લે જોર લગા લે - ફેરી (૧૯૫૪) - નાવિકોનું કોરસ ગીત - સંગીતકાર હેમંત કુમાર - ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ
તકનીકી રીતે આ ગીત દેવ આનંદ અભિનિત ફિલ્મનું ખરૂં પણ ફિલ્મમાં તે કોઈ એક નાવિકના પાત્ર દ્વારા ગવાતું હોય તે રીતે રજૂ થયું છે.


સચિન દેવ બર્મનનાં સંગીત અને હેમંતકુમારના સ્વરને દેવ આનંદનાઅભિનયની કડી વડે સંકળાયેલ સાંકળની
ખામોશી સુનાને લગી હૈ દાસ્તાં……..

No comments: